ભારતીય સમુદાય શિક્ષણ સંઘની સ્થાપના જીવન કેન્દ્રી, જીવન પર્યંત અને જીવનલક્ષી શિક્ષણના બૃહદ ઉદ્દેશ્યથી સ્વ. રામલાલભાઈ પરીખે વર્ષ ૧૯૮૨માં કરી. ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એક બિન સરકારી સ્વૈચ્છિક સેવાભાવે કાર્ય કરતી સંસ્થા છે. જે જીવનને સ્પર્શતા વિધવિધ વિષય ઉપર નાના મોટા શૈક્ષણિક કાર્યક્રમો કરે છે જેમાં સમાજના જુદા જુદા વર્ગો સાથે તેને કામ કરવાનું થાય છે.
આ જ ઉદ્દેશ્યને ધ્યાને રાખી અમે એક નવો કાર્યક્રમ લઈને આપણી સમક્ષ આવ્યા છીએ. ‘આપણી કવિતા આપણા માટે’
કવિતા એ સમાજનું દર્પણ છે અને સમાજ શિક્ષણનું એક સાધન પણ છે. ગુજરાતી ભાષાને જીવતી રાખી તેને સમાજ સાથે જોડવાનું કામ પણ કવિતાઓ કરતી આવી છે.
આ શૃંખલાની પ્રથમ ઋતુમાં અમે ગુજરાતી ભાષાની ચૂંટેલી ૨૫ કવિતાઓ સહુ સમક્ષ સાદી ભાષામાં રજૂ કરવાનાં છીએ. આપણા સમાજના દરેક વર્ગને કવિતામાં રસ પડે તેમજ તેની યોગ્ય સમજણ ઉભી થાય તે હેતુથી આ ઉપક્રમ અમે ગોઠવ્યો છે. દર અઠવાડિયે પ્રસિધ્ધ થનારા એપિસોડમાં મોટાભાગે એક કવિતાની સમજણ અપાશે. જેતે કવિતાના સ્મૃતિમાં રહે તેવી સરળ રીતે ગવાયેલા ગાન સાથે પ્રત્યેક એપીસોડની શરૂઆત થશે અને ત્યારબાદ તે કવિતા અંગેની સમજ વિષય નિષ્ણાત દ્વારા અપાશે. પ્રત્યેક એપિસોડ લગભગ ૨૦ મિનીટ જેટલો સમય લેશે.
ગુજરાતી ભાષામાં રચાયેલાં કાવ્યો સામાન્ય લોકો સમજે જાણે તે ઉદ્દેશ્યથી ઘડાયેલ આ કાર્યક્રમમાં કાવ્યગાન ડૉ. અમિતાબહેન શાહ કરશે. જ્યારે તે કાવ્યોની સમજ શ્રીમતિ ગોપાલીબહેન બુચ તથા ડૉ. કેશુભાઈ દેસાઈ આપશે. ડૉ. અમિતાબહેન શાસ્ત્રીય સંગીતમાં ‘અલંકાર’ ની પદવી ધરાવે છે. સંગીત તેમનો શોખનો વિષય છે અને નિજાનંદ માટે ગીતો, ભજનો તેઓ ગાય છે.
કાવ્યની સરળ સમજ આપ સહુ સમક્ષ બે વિદ્વાનો રજૂ કરશે. શ્રીમતિ ગોપાલીબહેન બુચ, કે જેઓ નવોદિત સાહિત્ય રચનાકાર છે, સંપાદિકા છે, અને અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાઈ તેમાં યોગદાન આપી રહ્યા છે તે, અને ડૉ. કેશુભાઈ દેસાઈ, કે જેઓ ખૂબ જાણીતા સાહિત્યકાર છે અને જેમની ઘણી કૃતિઓ બહોળો સમાજ સ્વીકાર પામી છે અને નવાજાઈ છે, તે
સમાજને આ બન્ને વિદ્વાનો પાસેથી ગુજરાતી ભાષાનાં વિવિધ કાવ્યોની સમજ ઉપલબ્ધ થશે જે ઘણી ઉપયોગી થશે.