This Video created for Educational purpose.
"સાંવરિયો"
આ ગીત ને કોણ ચાહનારું નથી? રમેશ પારેખ ની આ પ્રસિદ્ધ રચના વર્ષોથી ગવાતી,રસમય બનીને સંભળાતી આ રચના હવે સદાય લોકકંઠે અને લોકહૈયે બિરાજેલ ગીત કવિતા છે
મૂળ તો આ ગીત ગુજરાતી ચિત્રપટ માટે લખાયું નિમેષ દેસાઈ દિગ્દર્શિત અને પરેશ રાવળ ગોપી દેસાઈ અભિનીત ગુજરાતી ફિલ્મ "નસીબની બલિહારી" માટે લખાયેલ ગીત અને લખાયેલું પણ કેવું આકસ્મિક મિત્ર નિમેષે અમદાવાદમાં વાત કરી કે મારી આગામી ફિલ્મ માટે ગીત લખી આપો ત્યારે ર.પા.એ બસ સ્ટેન્ડ પર મુખડું ચબરખી પર લખ્યું ને પછી સર્જાયું આ અવિસ્મરિણય ગીત....
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
ગૌરાંગ વ્યાસનું સુંદર સ્વરાંકન સૌથી પહેલા આશા ભોંસલેના કંઠે ધ્વનિ મુદ્રિત થયું અને તેનું ચિત્રાંકન ગોપી દેસાઈ પર થયું ફિલ્મ ઘણી સારી બનેલી પણ એ સમયમાં બહુ ચાલી નહિ પણ ગીત ઊપડ્યું તે કેવું કે સુગમ સંગીત કે કાવ્ય સંગીત ના મંચ પરથી આરતી મુન્શી થી શરુ કરીને ગુજરાતના સહુ ગાયકોએ આ રચના ગાવા માંડી,શ્રોતાઓની આ ફરમાઈશ પણ આ ગીત માટે આવેજ અને આ ગીત પ્રસ્તુત થાય અને શ્રોતાઓ ઝુમી ઉઠે.
કેટલાક બીજા સ્વરકારોએ પણ આ ગીતને પોતાના અંદાજમાં સ્વરબદ્ધ કર્યું પરંતુ ગૌરાંગ વ્યાસ જેવી લોકપ્રિયતા ન સાંપડી જોકે ગુજરાતી ગાયકો આ ગીતમાં ".....દઈ દયે દરિયો" ની બદલે" દઈ દે દરિયો" બોલે ત્યારે મને કઠે હો "દયે" માં જે રણકો આવે તે રમેશનો અસલી રણકો સંભળાય એવું જ "બથ્થ " બોલાય તો માટીની સુગંધ આવે આ તો આપણા ગમા અણગમા પણ શ્રોતાઓની સ્વીકૃતિ પામેલ આ રચના ચિરંજીવ રહશે...
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
– રમેશ પારેખ
પ્રીતમના પ્રેમથી અભિભૂત થયેલ પ્રિયતમાનું પોતાના વ્હાલમના વ્હાલનું હૃદયસ્પર્શી વર્ણન છે.પિયુ ના પ્રેમમાં ઓળઘોળ થયેલ પ્રિયા સ્વર્ગના સુખનો અનુભવ કરી રહી છે. પ્રેમની પરાકાષ્ટાની અનુભૂતિ થતા તે આસમાનમાં ઉડી રહી છે.
પોતાના સાંવરિયો તેને પ્રેમમાં પાગલ કરી દે છે અને પ્રેમાનંદમાં રસતરબોળ પ્રેમિકા કહે છે કે મારો સાંવરિયો તો હું ખોબો માંગુ ને મને અખૂટ દરિયા જેટલો પ્રેમ દઈ દે છે. સોળ વર્ષની મુગ્ધાવસ્થામાં દરેક સ્ત્રી પુરુષ પહેલા પ્રેમમાં પડે છે ત્યારે બધા જ આ પ્રેમના સ્પંદન અનુભવે છે ખરું ને? વહાલાંનો પ્રેમ તેને સાતમા આસમાનમાં પહોંચાડી દે છે પ્રેમ રૂપી અત્તરથી તે લથબથ ભીંજાઈ જાય છે.
તેને જીવતર ગુલાબી ગુલાલ જેવું લાગે છે ને વ્હાલમ જ સર્વશ્રેષ્ઠ નાણું લાગે છે.હૃદયમાં પ્રેમના ટહુકાથી તેનું રોમ રોમ નાચી ઉઠે છે.તેની દુનિયા પિયુથી શરુ થઈ પિયુ સાથે જ પુરી થાય છે અને એટલે જ એનું ઘર પણ તેને વ્હાલમની બાથ ભરે તેટલું લાગે છે. છબીલા ,બાવરિયાં સાથે ગાળેલી રોમાંચિત ઉન્માદ ભરી રાતોથી એની આંખો લાલ થઈ જાય છે.આ ગીત બધાનું ગમતું છે કારણ પ્રથમ પ્રેમમાં સાંવરિયો બધાને આવો જ લાગે છે પણ તેનું આબેહૂબ વર્ણન તો રમેશભાઈ જેવા કોઈ શ્રેષ્ઠ કવિ જ કરાવી શકે.
હવે જરા આપણે તેના ગૂઢાર્થ પર નજર કરી એ તો આ ગીત સાંવરા એટલે શામળિયા શ્રી કૃષ્ણ ને સંબોધીને કવિએ વ્હાલથી સજાવ્યું છે.કૃષ્ણપ્રેમની પ્રતીતિ અલૌકિક છે. કવિ કૃષ્ણપ્રેમનું દર્શન કરાવતા ગદગદિત થઈ જાય છે ને સાચું જ કહે છે કે હું તો મારા સાંવરા સલોના પાસે ખોબો માંગુ છું ને તે તો દરિયા જેટલું અધધ આપી દે છે.
સાચેજ સૃષ્ટિનું સર્જન કરીને સર્જનહારે આપણને શું નથી આપ્યું? ચાંદ,સુરજ ને તારા ભરેલ આસમાન ,રંગબેરંગી ફૂલ ફળથી ભરપુર વૃક્ષો અને હરિયાળા પર્વતોની હારમાળા ,લહેરાતો સાગર ને કલરવ કરતા પક્ષીઓ , માતાપિતા , ભાઈબહેન, મિત્રો ને પ્રિયતમ નો અખૂટ પ્રેમ।
સાંવરિયાના પ્રેમમાં ભીજાયેલ કવિ અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે.કૃષ્ણ તો આમ પણ નિરાળો છે. એકવાર તમે એને તમારું સર્વસ્વ સોંપી દીધું પછી તમે તેનામાં જ સમાઈ જાવ છો.
કૃષ્ણના વ્હાલમાં રાધા ,મીરા,નરસિંહ,સુરદાસ,ગોપીઓ અને આખું ગોકુલ, કોણ ઘેલું નથી થયું? કવિ કહે છે તેના પ્રેમ રૂપી અત્તર નું એક ટીપું જ અંતરમાં પડતા જ ચારે કોઠે દિવા પ્રગટી જાય છે. જીવ પરમસુખનો પરમઆનંદનો અનુભવ કરે છે.આ આનંદ વર્ષાની હેલીથી લથબથ ભીંજાઈ જવાય છે.
અહીં આત્મા ને પરમાત્મા સાથેના પરમ મિલનની વાત છે.કૃષ્ણ નામરૂપી નાણું મળે પછી કોઈ ધનની જરૂર નથી રહેતી. એટલે જ તો મીરાંએ ગાયું “પાયોજી મૈને રામરતન ધન પાયો” અને આ નાણું મળ્યા પછી જીવતર ધન્ય થઈ જાય છે. જીવન મેઘધનુષ્યના રંગોથી રંગાઈ જાય છે.ખાલી હૃદયમાં જયારે તેના પ્રેમના પ્રાગટ્યનો ટહુકો થાય છે ત્યારે આખી કાયનાત આપણામાં સમાઈ ગઈ હોય તેમ લાગે છે તેનું શબ્દો દ્વારા વર્ણન કરવું મુશ્કેલ છે.
“કોઈ પૂછે કે ઘર તારું કેવડું ? મારા વ્હાલમજી બાથ ભરે એવડું “ અહીં કવિની કલ્પના આસમાનને આંબી જાય છે. સાંવરાની બાથમાં તો આખા બ્રહ્માંડ નો સમાવેશ થયો છે એટલે સમસ્ત સૃષ્ટિ એક કુટુંબ થઈ ગયું. આતો થઈ “વસુધૈવ કુટુંમ્બક્મ “ની વાત , કેવી અદભુત કલ્પના ! જયારે જગતના સર્વે લોકો આપણા જ થઈ જાય તો સર્વત્ર પ્રેમ પ્રેમ જ રહે.આમ સહજ રીતે વેદ ને ઉપનિષદ ની ભાષા સમજાવી દીધી છે.
પ્રેરણા અને માર્ગદર્શન : ડૉ. અંજના એસ. મોદી
CREATE BY VASANT TERAIYA 9687150200